Friday, April 22, 2011

ગુણવંત શાહ: જીવન નામની ઓપન યુનિવર્સિટીના કેમ્પસ પર

દીકરા કે દીકરીનાં લગ્ન અંગેના નિર્ણય પર વડીલ ચપ્પટ બેસી જાય છે. સહજપણે ઊગેલા આકર્ષણ પર આતંકવાદી હુમલો કરવામાં આવે છે. સહજ આકર્ષણ દિવ્ય યોજના વિનાનું નથી હોતું.

પ્રેમ કરો અને છલોછલ પ્રેમ કરો. તમારું શારીરિક હૃદય તો એક પંપ છે, પરંતુ માણસની ભીતર એક સૂક્ષ્મ હૃદય પણ પ્રતિક્ષણ ધબકતું રહે છે. એ સૂક્ષ્મ હૃદય પ્રેમ કરવા અને પ્રેમ આપવા માટે સતત તલસે છે. એ તલસાટ પવિત્ર છે.

આ દેશનું તકલાદી વડીલપણું મૂળે બે સડેલાં ગૃહીતો પર ટકી રહ્યું છે: ૧-બધી અક્કલ અમારામાં છે અને

૨- નાદાન છોકરાં સાવ અક્કલ વિનાનાં છે. ઘરડાંઘરની દીવાલોની પ્રત્યેક ઇંટ સાથે આવી બે ભંગાર માન્યતાઓની સિમેન્ટ ચોંટેલી હોય છે. પાછલી ઉંમરે ઘરડાંઘરમાં જવું કેમ પડે? છોકરાં મોટાં થાય પછી આવાં જ વાક્યો વ્યાજમુદ્દલ સાથે વડીલોને પાછાં આપવામાં આવે છે.

હૃદયરોગનો હુમલો થાય તે એટલું તો સિદ્ધ કરે છે કે હૃદય નામની જણસ હજી બચી છે. માણસના મનને જે સમજાય તેના કરતાં એના માંહ્યલાને ઘણું વધારે સમજાય છે. ઉપનિષદમાં તેથી કહ્યું: ‘હૃદયેન હિ સત્યં જાનાતિ.’ પરિવારમાં ભલભલા ચાલાક લોકોને ન સમજાય તે વાતો માતાને સમજાય છે. ભવિષ્યમાં સંશોધનો એવું જરૂર સાબિત કરશે કે દુનિયાની માતાઓમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ સૌથી ઓછું હોય છે.

હૃદયરોગથી બચવાનો રામબાણ ઇલાજ છે: પ્રેમ કરો અને છલોછલ પ્રેમ કરો. તમારું શારીરિક હૃદય તો એક પંપ છે, પરંતુ માણસની ભીતર એક સૂક્ષ્મ હૃદય પણ પ્રતિક્ષણ ધબકતું રહે છે. એ સૂક્ષ્મ હૃદય પ્રેમ કરવા અને પ્રેમ આપવા માટે સતત તલસે છે. એ તલસાટ પવિત્ર છે.

ઇજિપ્તના કૈરો મહાનગરના તહરિર ચોકમાં મુબારકની વિરુદ્ધ જે દેખાવો થયા તે લગભગ અહિંસક હતા. લોકોનાં ટોળાં જોરજોરથી જે સૂત્રો પોકારતાં હતાં, તેમાં સૌથી બુલંદ અવાજે બોલાતું સૂત્ર હતું: ‘Go Mubarak Go.’ દુનિયાના લોકોને કાને ન પડેલું બીજું સૂત્ર હતું: ‘અમારે પરણવું છે.’ ઇજિપ્તના યુવાનો બેકારીમાં સપડાયા હતા. આવક ન હોય તેથી એ યુવાનોને ફરજિયાતપણે અપરિણીત રહેવું પડે. એમની સહજ ઝંખનાનું અગ્નિસ્નાન થતું રહે તેથી ઘોર નિરાશા જન્મે.

ઇજિપ્તના ઇસ્લામી સમાજની રૂઢિગ્રસ્ત માનસિકતા એ નિરાશાને વિકરાળ બનાવે તેવી પરિસ્થિતિમાં જ્યારે વિદ્રોહ જન્મે ત્યારે એ આપોઆપ ગમી જાય. ઇન્ટરનેટ પર ટર્કીમાં જોવા મળતી મુક્ત જીવનશૈલી ઉપરાંત ભારતીય બોલિવૂડમાં લેવાતી છુટછાટ એમને ગમી જાય. આમ ઇજિપ્તમાં થયેલા વિદ્રોહનું એક પરિબળ તે અતૃપ્ત યૌવન!

ભારતનાં કરોડો ઘરોમાં વડીલો તરફથી સંતાનોને વારંવાર સાંભળવા મળતું એક બ્રહ્નવાક્ય છે: ‘આ બાબતમાં તને સમજ ન પડે.’ બસ, આ એક વાક્યને કારણે યૌવન અપમાનિત થતું રહ્યું છે. આ દેશનું તકલાદી વડીલપણું મૂળે બે સડેલાં ગૃહીતો પર ટકી રહ્યું છે: (૧) બધી અક્કલ અમારામાં છે અને (૨) નાદાન છોકરાં સાવ અક્કલ વિનાનાં છે. ઘરડાંઘરની દીવાલોની પ્રત્યેક ઇંટ સાથે આવી બે ભંગાર માન્યતાઓની સિમેન્ટ ચોંટેલી હોય છે. પાછલી ઉંમરે ઘરડાંઘરમાં જવું કેમ પડે? છોકરાં મોટાં થાય પછી આવાં જ વાક્યો વ્યાજમુદ્દલ સાથે વડીલોને પાછાં આપવામાં આવે છે. દીકરા કે દીકરીનાં લગ્ન અંગેના નિર્ણય પર વડીલ ચપ્પટ બેસી જાય છે.

સહજપણે ઊગેલા આકર્ષણ પર આતંકવાદી હુમલો કરવામાં આવે છે. સહજ આકર્ષણ દિવ્ય યોજના વિનાનું નથી હોતું. પ્રેમનું ષડ્યંત્ર રચાયું તેમાં પ્રકૃતિનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક વડીલોને કાને ક્યાંથી પડે? તેઓની ગણતરી લૌકિક હોય છે. જે સર્વથા લૌકિક હોય તેવી પરિસ્થિતિમાં, જે કશુંક અલૌકિક હોય તેને નિર્દયપણે કચડી નાખવામાં આવે છે.

આવી લાખો દુર્ઘટના જ્યાં સતત બનતી હોય એવા સમાજને કોઇ અધાર્મિક સમાજ નથી કહેતું! સંલગ્નતા વિનાની ફરજિયાત લગ્નતા એક એવો અભિશાપ છે, જેમાં મૂળભૂત માનવ-અધિકારનો ભંગ છે. જે વ્યક્તિ અંદરથી ગમતી ન હોય તેની સાથે આખું આયખું સાથે ગાળવાની સજાને કોઇ જનમટીપ ન કહે તેથી શો ફેર પડે? જીવન નામની ઓપન યુનિવર્સિટીના કેમ્પસ પર સતત કાને પડતાં જૂઠાણાં મધુર છે, પરંતુ આખરે તો જૂઠાણાં જ! થોડાંક જૂઠાણાં સાંભળો:

- અમારા જમાનામાં દુનિયા આટલી ખરાબ ન હતી.
- હું પૈસા માટે કામ નથી કરતો, આત્મસંતોષ ખાતર કરું છું.
- ડાર્લિંગ! તારા પર તો કોઇ પણ ડ્રેસ સારો જ લાગે છે!
- જે થયું તે થયું, પરંતુ હવે આપણે સારા મિત્રો બની રહીએ તો!
- દુકાનદાર ગ્રાહકને કહે છે: તમે નસીબદાર છો. આ છેલ્લો પીસ હતો.
- આમ દોડતા દોડતા આવો તે ન ચાલે. હવે શાંતિથી રહેવાય તેમ આવો.
- ઓફ કોર્સ આઇ લવ યૂ!
- જમવાનું સાદું બનાવજો, બહુ ધમાલ ન કરશો.
- આપણો સંબંધ એવો કે ગેરસમજ થાય એ શક્ય જ નથી.
- આ તો તારા ભલા માટે કહું છું, બાકી મારે એમાં શું લેવાનું?
- મેં તો પહેલાંથી તમને કહ્યું હતું, પણ મારું કોણ સાંભળે!
- જુઓ, અમારે તો દીકરી અને વહુ બંને સરખાં!

જીવનમાં ડગલે ને પગલે ઘૂસી ગયેલી કૃત્રિમતા આપણા બીઇંગને ખોખલું બનાવતી રહે છે. એવા કેટલાક માણસો જોયા છે, જેઓ કેવળ માનવસંબંધને ધ્યાનમાં રાખીને જ પોતાનો અભિપ્રાય ઉચ્ચારે છે. તેઓ પોતાના હૃદયમાં ઊગેલી વાત કરવાને બદલે સતત શબ્દોનું રંગરોગાન કરતા રહે છે. આવા કોઇ ‘મરી ચૂકેલા’ કૃત્રિમ મનુષ્યને તમે મળ્યા છો? એમનો ‘સ્વ’ પ્રતિક્ષણ મરતો જ રહે છે. સમાજમાં આવી ‘ભદ્રતા’ની પ્રતિષ્ઠા થતી રહે છે. એ સિન્થેટિક ભદ્રતા છે. આપણા ‘સ્વ’ પર સતત ઝીંકાતા હથોડા આપણા વ્યક્તિત્વમાં રહેલા પુષ્પત્વને પ્લાસ્ટિકનું બનાવી મૂકે છે. યાદ રાખવાનું છે કે કાંસકીની શોધ થઇ પછી આપણા માથા પર વાળ નથી ઊગ્યા, કાંસકી ન હતી ત્યારે પણ માણસને માથે વાળ હતા.

એ જ રીતે લગ્નની શોધ થઇ પછી પ્રેમ નથી ઊગ્યો. લગ્નસંસ્થા શરૂ થઇ તે પહેલાંની સદીઓમાં પણ પ્રેમ નામની ચીજ હતી જ! યુવાનોને નિયમની ખબર હોય છે, જ્યારે વૃદ્ધોને અપવાદની ખબર હોય છે. યુવાનો વૃદ્ધોની વાત સાંભળવા તૈયાર છે, પરંતુ તે માટે વૃદ્ધોએ યુવાનોના મિત્ર બનવું પડશે. વૃદ્ધોની એક મર્યાદા જાણી રાખવા જેવી છે. જ્યારે યુવાન હતા ત્યારે એમને સેક્સમૂલક આકર્ષણની પજવણી કેટલી તીવ્રપણે થઇ હતી તે વાત ભૂલી જવામાં તેઓ ઉસ્તાદ હોય છે.

આકર્ષણ તો ધરતીના પેટાળમાંથી નીકળતા ક્રૂડ ઓઇલ જેવું હોય છે. એ આકર્ષણ લેવાની નહીં, આપવાની ઉતાવળમાં હોય ત્યારે સેક્સ-અફેર, લવ-અફેર બને છે. ક્રૂડ ઓઇલનું રૂપાંતરણ પેટ્રોલમાં થાય તે માટે રિફાઇનરી જોઇએ. એ રિફાઇનરીમાં કશુંક ખોવામાં અને ખોવાઇ જવામાં મળતો આનંદ મહત્વનો છે. Giving is far more important than getting. પ્રેમ છે, તો આનંદ છે અને નિર્મળ આનંદ છે, તો અધ્યાત્મ છે. થોરિયાના ઠૂંઠા જેવું અધ્યાત્મ દુ:ખપ્રધાન હોવાનું. આનંદ વિનાના અધ્યાત્મને નવી પેઢી નહીં સ્વીકારે એ જ યોગ્ય છે.

મરજી વિરુદ્ધ થયેલું લગ્ન જીવનને નષ્ટ કરે છે અને સમાજની માનસિક તંદુરસ્તીનો નાશ કરે છે. સરકારે હેલ્પલાઇન શરૂ કરવી જોઇએ, જેથી માંહ્યરામાં બેઠેલી કન્યા કે એને પરણનાર મુરતિયો પોલીસને ટેલિફોનથી ખબર આપી શકે કે અમારી મરજી વિરુદ્ધ અમને જનમટીપ થવાની તૈયારીમાં છે. અગ્નિની સાક્ષીએ આવું મહાપાપ રોજ થતું રહે છે. જ્યાં મનમેળ હોય ત્યાં ઘરને પ્રેમમંદિરનો દરજજો પ્રાપ્ત થાય છે. (રાજકોટમાં ડૉ. ભદ્રાયુ વછરાજાનીના ઘરનું નામ ‘પ્રેમમંદિર’ છે.) પરાણે ગંઠાઇ ગયેલું યુગલત્વ સમાજને નિસ્તેજ બનાવે છે.

નવી પેઢીનાં નાદાન હૈયાં દ્વારા જે પસંદગી થાય તેમાં થતી ભૂલ પણ આટલી અપવિત્ર નથી હોતી. દહેજ લઇને પરણનાર લલ્લુ મને અંગત દુશ્મન જેવો જણાય છે. નવી પેઢીને કેટલીક ‘નિર્મળ ભૂલો’ કરવાની છૂટ આપણે ક્યારે આપીશું? રાધાકૃષ્ણની પૂજા કરનારો આપણો સમાજ ક્યારે સુધરશે? મામાનું ઘર કેટલે? ક્યાંય દીવો બળે છે ખરો? વાહ વાહ રામજી!



Blog:http://gunvantshah.wordpress.com

વિચારોના વૃંદાવનમાં, ગુણવંત શાહ

No comments:

Post a Comment